હંમેશને માટે
હું હવે આશ્રિત છાવણીમાં રહું છું.
કાશ્મિરી પંડિતની જેમ.
મારું ગામ, ફળિયું અને ઘર
છોડ્યાંને વરસો થયાં…
વરસોથી શહેરમાં કોઈ
અજાણ્યા પડોશીઓની વચ્ચે
જિંદગી કાપું છું.
મને યાદ આવે છે
મારું બાળપણ, મારી શાળા,
મારા બાળપણના મિત્રો.
મને યાદ આવે છે મારું ગામ,
જ્યાં ત્રણ પેઢીથી એકમેકનો
સંબંધ સચવતો હતો.
પડોશીથી ફળિયું,
અને બીજા ફળિયાઓ સુધી
એકબીજા વચ્ચે આત્મીયતાનો
સંબંધ પણ અકબંધ હતો.
પણ, હવે આ શહેરની ભીડ વચ્ચે
હું એકલતા અનુભવું છું.
આમ તો અહીં બધું જ છે.
બધી સુવિધાઓ વચ્ચે,
માત્ર નરી ભૌતિકતાથી મારું
મન કચવાય છે.
મને મારું વતન સાંભરે છે.
હું હવે એકલો થઇ જાઉં છું,
કોઈ આશ્રિતની જેમ.
મારી જેમ તમે પણ આ અનુભૂતિ
કરી હશે.
આપણે કેટલા બેબસ બની ગયા છીએ !
કાશ્મીરના પંડિતો તો મજબુરીથી
આશ્રિત છાવણીમાં રહે છે.
પણ આપણે તો જાતે જ
સામે ચાલીને આશ્રિત છાવણીઓમાં ગોઠવાઈ ગયાં છીએ;
જ્યાં રહેવું હવે આપણી આદત બની ગઈ છે,
કદાચ હંમેશને માટે…
હનીફ મહેરી. સુરત
Explore posts in the same categories: કવિતા